બુલેટ ટ્રેન માટે 100 KM બ્રિજ તૈયાર, જાણો મુંબઈ-અમદાવાદ પ્રોજેક્ટનું કામ ક્યાં સુધી પહોંચ્યું
- 24 Nov, 2023
મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડનારી દેશની પ્રથમ બુલેટ ટ્રેનનું કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ જે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરનું નિર્માણ કરી રહી છે. તેમણે ગુરુવારે જણાવ્યું હતું કે, મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે 100 કિમી વાયાડક્ટ અને 230 કિમી પિઅર (જમીનથી સમુદ્ર સુધી લોખંડ અથવા લાકડાનું માળખું ) નું કામ પૂર્ણ થયું છે.
સરળ શબ્દોમાં કહીએ તો આ પ્રોજેક્ટનો 100 કિલોમીટર લાંબો પુલ તૈયાર કરવામાં આવ્યો છે અને 230 કિલોમીટર લાંબા માર્ગ પર પિલર તૈયાર કરવામાં આવ્યા છે. NHSRCLએ જણાવ્યું હતું કે, 40 મીટર લાંબા 'ફુલ સ્પાન બોક્સ ગર્ડર્સ' અને 'સેગમેન્ટલ ગર્ડર્સ'ના લોન્ચિંગ દ્વારા 100 કિમીના વાયાડક્ટના નિર્માણનો માઇલસ્ટોન હાંસલ કરવામાં આવ્યો છે. તેનો વીડિયો પણ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતે જ જાહેર કર્યો હતો.
NHSRCLના જણાવ્યા મુજબ,આ પુલોમાં વલસાડ જિલ્લાના પાર અને ઔરંગા તેમજ નવસારી જિલ્લાના પૂર્ણા, મીંઢોળા, અંબિકા અને વેંગાનિયા સહિત ગુજરાતની છ નદીઓ પરના પુલનો સમાવેશ થાય છે. NHSRCL અનુસાર પ્રોજેક્ટનો પ્રથમ ગર્ડર 25 નવેમ્બર, 2021ના રોજ લોંચ કરવામાં આવ્યો હતો, જ્યારે વાયડક્ટનો પ્રથમ કિલોમીટર 30 જૂન, 2022ના રોજ છ મહિનામાં પૂર્ણ થયો હતો. તેણે 22 એપ્રિલ 2023ના રોજ 50 કિલોમીટરના વાયડક્ટનું બાંધકામ પૂર્ણ કર્યું હતું અને તે પછી 100 કિલોમીટર વાયડક્ટ છ મહિનામાં પૂર્ણ થયું.
નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) અનુસાર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ, 40 મીટર લાંબા ફુલ સ્પાન બોક્સ ગર્ડર્સ અને સેગમેન્ટ ગર્ડર્સને જોડીને 100 કિમી વાયડક્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. વાયડક્ટ એ પુલ જેવું માળખું છે જે બે થાંભલાઓને જોડે છે. આ પ્રોજેક્ટ માટે વાયડક્ટના કામ ઉપરાંત 250 કિલોમીટરના થાંભલા ઉભા કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત જાપાનીઝ શિંકનસેનમાં વપરાતા રિઇનફોર્સ્ડ કોંક્રીટ (RC)માંથી મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર ટ્રેક સિસ્ટમ માટે ટ્રેક બેડ નાખવાનું કામ પણ સુરતમાં શરૂ થયું છે. મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટની કુલ કિંમત 1.08 લાખ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ કેન્દ્ર સરકાર NHSRCLને રૂ. 10,000 કરોડ ચૂકવશે જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર રૂ. 5,000 કરોડ ચૂકવશે. બાકીનો ખર્ચ જાપાન પાસેથી 0.1 ટકા વ્યાજે લોન દ્વારા થાય છે. સપ્ટેમ્બર 2017માં અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. એવી અપેક્ષા છે કે, ટ્રેન લગભગ બે કલાકમાં 500 કિમીથી વધુનું અંતર કાપશે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ